February 1st 2009

સંત સમાગમ

                                         સંત સમાગમ                                 

તાઃ૧૭/૩/૧૯૮૧                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ      

              જીવનના આદર્શો અને સંસ્કારના સીંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના પિતા પ્રભાકરના દરરોજના જીવનમાં વણાયેલ હતું. તેમને મળેલા માબાપના આશિર્વાદ અને ભક્તિને જીવનમાં રાખવી તેવા સંસ્કારના સિંચન. તેમના લગ્ન નજીકના ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં ભાઇભાંડું વચ્ચે ઉછરેલ બે બહેનોમાં નાની બહેન જેને બધા વ્હાલથી રાની કહેતા હતા તે જ્યોતી પારકા ઘરમાં પોતાના નામને પ્રજ્વલીત કરવા અને માબાપના નામને ઉજ્વળ કરવા પ્રભાકરની પત્ની થઇને આવી. મધ્યમવર્ગી અને મર્યાદાધારી કુટુંબમાં જન્મેલી દીકરીને પ્રેમ,આદર,સન્માન અને સંસ્કાર મળેલા.
                      પ્રભાકરને અભ્યાસકાળ દરમ્યાન ઘણી અગવડ પડેલી કારણ માબાપની પાસે નાંણાની સગવડ ઓછી,પિતાને ગામમાં એક નાનકડી દુકાન હતી જેમાં મર્યાદીત આવક હતી.પણ પ્રભાકરને ભણવાની ધગસ અને ઇચ્છાને કારણે નજીકના શહેરમાં સાઇકલલઇને ત્રણ માઇલ ભણવા જતો.અને ઘેર આવી તેના પિતાને દુકાનમાં મદદ પણ કરતો. ભણતરની સાથે તેને નોકરી પણ મળી.અભ્યાસમાં મન પરોવાય અને અનુભવ થાય તેથી તે પોતાની લગન પ્રમાણે જ એક મોટા બીલ્ડરને ત્યાં સુપરવાઇઝરનુ કામબપોરે ૧૧ થી સાંજના ૭ સુધી કરતો. સવારમાં ૭ થી ૧૦.૩૦ નો અભ્યાસ પતાવી તે નોકરી કરતો.આમ તેના જીવનમાં અભ્યાસ કામની શરુઆત થઇ ગઇ. તેને મળેલા માબાપના સંસ્કાર જ તેને ભણતરમાં મન પરોવી મહેનત કરવાની સમઝ આપી હતી અને તેથી તે તેની નોકરીમાં પણ માલિકને સંતોષ આપતો હતો. તેની ધગસ અને લગન જોઇને જ જ્યોતી જેવી પત્ની મળી. જ્યોતી પોતાના નામને અને માબાપના નામને પ્રકાશીત કરી શકે તેવી હતી. જેથી તે આ ઘરમાં સમાઇ ગઇ. પ્રભાકરને એક બહેન પણ હતી પણ તે તેનાથી મોટી હતી એટલે જ્યોતીના ઘરમાં આવ્યા પહેલા તેના લગ્ન થઇ ગયેલ તેથી  જ્યોતીને આ ઘરમાં પ્રભાકરની બહેનનો સહવાસ બહુ નહીં મળેલ.પણ છતાં  બન્નેમાં પ્રેમ ભાભીનણંદ પુરતો મર્યાદીત ન હતો. જ્યારે જ્યારે પ્રભાકરના મોટી બહેન તારાબહેન આવે ત્યારે જ્યોતીની આંખો ભીંજાઇ જતી કારણ તેને નણંદમાં માનો આભાસ થતો હતો. કુટુંબમા જે રીતે પ્રેમના વાદળ છાયેલા હતા કે જે એકબીજાને નિરખી આત્મીયતા અનુભવતા હતા અને તે બનવાનુ કારણ કુટુંબને મળેલ ભક્તિ અને અંતરના પ્રેમનો સ. ઘણી વખત તો જ્યોતી તેની નણંદના ખોળામાં માથુ મુકી મા ની મમતા પણ મેળવી લેતી.

                    સમયને તો કોઇ રકી શક્યુ નથી. કુદરતની કૃપા અને માનવતાની મહેંકમાં ભણતર પુર્ણ થતાં પ્રભાકરને તે જ કંપનીએ ઘણા સારા પગારથી નોકરી આપી અને શહેરમાં નવુ મકાન પણ આપ્યું. માબાપની આંખોમાં પાણી આવી ગયા કારણ પ્રભાકર તેમની આંખની કીકી સમાન હતો અને ખુબજ વ્હાલો હતો તેના ઉજ્વળ જીવનમાં જલાબાપાની કૃપાથી જ્યોતી પણ આવી ગઇ.આજે પ્રભાકર અને જ્યોતીના ખુબ જ આગ્રહથી અને સંતાનના ખુબજ  પ્રેમથી કરેલા દબાણથી ગામડાના ઘરને સગાને સોંપી દીકરાવહુ સાથે શહેરમાં રહેવા આવવાની ફરજ પડી. ગામને છોડવાના પ્રસંગે જે જે તેમને મળ્યા તેમની આંખો આંસુથી છલકાઇ ગઇ. તેમને પ્રભાકરના માબાપનો હવે સમાગમ નહી થાય. ગામના લોકોને ભક્તિ અને સંસ્કાર ભરેલ કુટુંબનો સહવાસ મળેલ અને તેથી જ ગામની પ્રજામાં પ્રેમનો સમાગમ જળવાયેલ. ઉજ્વળ જીવનમાં હંમેશા આશીર્વાદ અને પ્રેમ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમ માબાપની સેવા અને તેમની ભક્તિ એ સંતાનો પર પરમાત્માએ પ્રેમની વર્ષા કરી હોય તેમ પ્રભાકરને કંપની એ બીજા પ્રોજેક્ટોમાં મનેજરની સત્ત્તા આપી તેના કામની કદર કરી. આનંદીત જીવનમાં જાણે પ્રભાકરના માબાપની પ્રાર્થના પરમાત્માએ સાંભળી હોય તેમ જ્યોતીએ દીકરાનો જન્મ આપ્યો.

                     આજકાલને ગણતાં ગણતાં પ્રભાકરના માતાપિતા સમયને ના રોકી શક્યા અને તેઓના જીવ સંત શ્રી જલારામ બાપાના શરણે અર્પણ થયા એક જ વર્ષના ગાળામાં બંન્નેએ પૃથ્વી પરથી વિદાય લીધી. પ્રભાકર અને જ્યોતીના જીવનમાં માબાપની છાયાથી જ સંસ્કાર અને ભક્તિની મહેંક આવેલી તેથી જીવને અમરત્વ આપનાર અમૃતને તો ન જ ભુલાય તેથી તે બાળકને અમૃત નામ આપી માબાપની યાદ સદા ચિરંજીવી બનાવી. અમૃત બાળપણમાં તેના પિતાની જેમ ધગસ અને ઉત્સાહથી ભણવામાં મન રાખી મહેનત કરતો હતો. સમયમાં તેને બાલમંદીર કે હાઇસ્કુલનો અભ્યાસ પુરો કર્યો. કોલેજકાળ શરુ થયો. વાહન લઇ કૉલેજ જ્તો પ્રથમ બે વર્ષ ક્યાં નીકળી ગયા તેનો ખ્યાલ પણ ના રહ્યો. કોલેજમાં અભ્યાસની સાથે ઘેર મોડા આવવાનુ શરુ થયુ. તેના પિતાને એમ કે અમૃત બરાબર ભણતો હશે. પણ આ બાજુ તેને બે એવા મિત્રો મળી ગયા કે જે તેને લાલચ મોહમાં જકડી સીગરેટ અને છોકરીઓની લપેટમાં લઇ ગયા. એક વખત અમૃતને તેના માતાપિતાએ પુછ્યં ત્યારે કહે મારું ભણવાનું ચાલે એટલે મોડુ થાય છે તમારે કંઇ જોવાની જરુર નથી. આ સાંભળી તેને કહ્યુ પણ ખરુ કે બેટા જીવનના સોપાન સાચવીને ચઢીશ તો આગળ આવીશ કોઇ પણ પગલુ ભરતાં ધ્યેયને સાચવજે તો જીવન પાર ઉતરીશ.

                   એક દીવસ અમૃત રાત્રે ધણો જ મોડો ઘેર આવ્યો. બારણૂ ખખડાવ્યુ  તેની માતા આવી બારણુ ખોલ્યુ, તેને મા એ તરત જ કહ્યુ બેટા આજે તારા પિતાની તબીયત સારી નથી અને તુ આટલો મોડો ઘેર આવે તે સારુ નહીં તે તેની રુમમાં ગયો નાહી ધોઇ બહાર આવતા રડવાનો અવાજ સાંભળ્યો તેણે બારણા આગળ કાન ધર્યા તો તેની માતા તેના પિતાને કહેતી હતી આપણે આપણી ફરજ બજાવીએ છીએ પણ આપણા બેટા ને ખરાબ મિત્રોનો સહવાસ થયો છે તેમાં તમારે રડવાની જરુર નથી બધુ ભગવાન સારૂ કરશે. જલાબાપા દયાળુ છે આપણી ભક્તિ સ્વીકારી અમૃતને  સદબુધ્ધિ આપશે. 

                   બીજે દીવસે ગુરુવાર હતો સવારમાં વહેલો ઉઠી ઘરમાં કરેલ મંદીર સામે બેસી માળા ફેરવતો તેની માતા એ અમૃતને  જોયો તેની આંખમા પાણી આવી ગયા અને બેટાને બાથમાં ઘાલી આંસુ દીકરાના મોં પર પડ્યા. ત્યાં દીકરો ઉંચા અવાજે રડી પડ્યો અને માને બાથમાં ઘાલી કહે મા મને માફ કર મેં મારા માબાપના પ્રેમની કદર ના કરી. હું હવે ધ્યેયથી ભણતર પુરુ કરીશ. તે સવારે સમયસર કૉલેજ ગયો અને સમયસર સાંજે પાછો પણ આવી ગયો, તેના પિતાએ તેને કહ્યુ કેમ બેટા આજે વહેલો કૉલેજથી આવી ગયો? તેની પાસે જવાબ ન હતો તે તેના પિતાના પગમાં માથુ મુકી ખુબ રડ્યો તેના પિતાથી પણ ન રહેવાયું આંખ ભીની થઇ ગઇ. આ દીવસથી જ્યારે તેને  એન્જીનીયરની ડીગ્રી મળી ત્યારે તે યુનીવર્સીટીમાં પ્રથમ વર્ગમા પ્રથમ આવ્યો.

                  કોલેજથી રીઝલ્ટ લઇને સીધો ઘેર આવ્યો અને  કંઇ બોલતા પહેલા માબાપના પગમાં પડી ગયો. તેના પિતાના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો બેટા સમાગમ જીવનને મોડ આપે છે તે તેં સાબિત કરી બતાવ્યુ. જલાબાપા સદાય તારી સફળતામાં સાથે જ રહેશે. અને……….       

                   સમાગમ કરજો મારા ભઇ
                              જીવન ના બગડે તમારુ અહીં
                   મળશે વણ માગ્યો પ્રેમ જગતમાં
                                      અંત આવશે તેનો અણદેખ્યો
                   કરજો કામ ને સમજી આપ
                                     કદી જીવનમાં પાછા પડશો નહીં
             ============================

                                                                              

                

February 1st 2009

વ્હાલી એકતા

                       વ્હાલી એકતા
                         (જન્મદીન)
તાઃ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૦૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપાપગલી ભરતી ચાલે અમારી નાની નાની એકતા
ડગમગ ડગમગ કરતી ચાલે, નાની નાની એકતા

પ્યાલી પ્યાલી વ્હાલી લાગે નાની નાની એકતા
પપ્પા મમ્મી કલતી દોડે વ્હાલી નાની નાની એકતા

મમ્મીના ખોળામાં રમતી અમારી નાની નાની એકતા
રોમીલની આંગળી પકડી ચાલે બેની નાની નાની એકતા

આનંદઆનંદ સૌને હૈયે જોઇને નાની નાની એકતા
વ્હાલ રમાને હૈયે ઉભરે જોઇને ભાઇની નાની એકતા

દીપલ પકડી જકડી રાખે નાનકડી વ્હાલી એકતા
રવિ,પ્રદીપને આનંદ હૈયે જોઇને નાની નાની એકતા

ઘણી જ વ્હાલી સુંદર લાગે સૌને નાની નાની એકતા
એકવર્ષની આજે થઇતોય લાગેમોટી નાની નાની એકતા

ઇષ્ટદેવને વંદન કરતા પ્રાર્થે સૌ સ્નેહી જનો
સુખ સમૃધ્ધિમય વૈભવી જીવન પામે અમારી વ્હાલી…
……… નાની નાની એકતા…….
____________________________________________
અમારી વ્હાલી એકતાના આગમનને આ કુટુંબમાં એક વર્ષ થતાં
યાદ રુપે ભેંટ. જન્મ તાઃ ૧૦મી ફેબ્રુઆરી ૨૦૦૦. હ્યુસ્ટન

February 1st 2009

સાધક….શબ્દોના

             સાક....શબ્દોના

તાઃ૧૬/૧૨/૨૦૦૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દ મળે ના શોધતો જ્યારે,
              લાગણી મનમાં ઉભરાઇ ત્યારે
મનમાં અનહદ આનંદ અનેરો
     કહેવા કોઇ ના શબ્દ મળે,ના મળે કોઇ વાચા
                       ..........શબ્દ મળે ના શોધતો.
હૈયે હેત અનેરુ ઉભર્યુ,
              ને મનમાં પણ ખળભળ થાય
પ્રસંગ એવો આજે દીઠો,
              જે  જગ જીવનમાં મળે અનેરો
                       ..........શબ્દ મળે ના શોધતો.
મળ્યા શબ્દના સાધક આજે
                    ધન્ય ઘડી હેમંતભાઇની આજે
આવ્યા પ્રેમે મળશે પ્રેમે
                લઇ આવ્યા સૌ શબ્દોના સણગાર
                        .........શબ્દ મળે ના શોધતો.
લેખ લખી લલચાવે જીવન
                      ને કાવ્ય કરે કલરવ અનેરો
પ્રદીપને સંબંધ સાધકથી
                      જે આનંદ અંતરને દઇ જાય
                         ........શબ્દ મળે ના શોધતો.
પ્રેમ હેત ને ના કોઇ શબ્દ
                     સાચા સંબંધથી એ વરતાય
વિજયભાઇનો સાહિત્યપ્રેમ,
               લાવ્યા  શબ્દના સાધક છેક
                       ..........શબ્દ મળે ના શોધતો.
પ્રેરણા પ્રેરે છે સાધકને
                          જે શબ્દ બની દેખાય
પ્રસંગ પામવા તરસી રહ્યો હું
                જે હ્યુસ્ટન ગામે ૧૬મીએ ઉજવાય
                       ..........શબ્દ મળે ના શોધતો.
   -------------------------------------------------------
    પ્રેરણા ને પ્રેમના તાંતણે ઘણા વખતથી શ્રી વિજયભાઇ શાહ સાથે જોડાયેલ.
પહેલી વખત મને શબ્દોના સાધકોને નિરખવાની અને મળવાની તક સાંપડી જે મારે
માટે ખુબ જ ધન્ય ઘડી છે.સૌ સાધકોને ધન્યવાદ અને મા સરસ્વતીને વંદન.
.....પ્રદીપ બ્રહ્મભટ્ટ                         તાઃ૧૬મી ડીસેમ્બર ૨૦૦૬.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 1st 2009

કડી મળી

              કડી મળી
 
તાઃ૧/૨/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇ ની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થઈ
જન્મ મળ્યો આ માનવનો,કર્મના બંધન લઈ
મુક્તિ કેરા માર્ગની,મને સાચી કડી મળી ગઈ
                     .......જલાસાંઇ ની ભક્તિ કરતાં.
નીત સવારે પ્રેમથી કરતો,પ્રભુ ભક્તિ એકવાર
મળતી શાંન્તિ મનને ત્યારે,પ્રેમથી માળા કરતો
આવે આંગણે પ્રભુ પિતાજ્યાં,સુર્યકીરણને જોતા
વંદન કરતાં માનવદેહે,ઉજવળ મહેંક મેળવતો
                      .......જલાસાંઇ ની ભક્તિ કરતાં.
અવની પરના આગમનની,મીઠી ચાદર હુ લેતો
જલાસાંઇની ભક્તિ ભજનમાં,મોહમાયાના જોતો
ઉજ્વળ જન્મ અને જીવન,માનવ મને મહેંકતો
પ્રભુ શરણમાં જ્યારથી રહ્યો,મનની શાંતિ લેતો
                      .......જલાસાંઇ ની ભક્તિ કરતાં.
 ++++++++++++++++++++++++++++++++++++++++